ગાંધીનગરથી વધુ ૧૩ અનુદાનિત શિક્ષકોને OPS આદેશ મળતા કચ્છ શિક્ષણ જગતમાં ખુશીની લાગણી

Live Viewer's is = People

૨૦૦૫ પહેલાં નિયુક્ત શિક્ષકોને જૂની પેન્શન યોજનામાં સમાવેશ થી મળ્યો મોટો ન્યાય

The News Times


ગાંધીનગર સ્થિત કમિશનર શ્રી શાળાઓની કચેરી દ્વારા તા. ૧ એપ્રિલ ૨૦૦૫ પહેલાં સેવા માટે નિયુક્ત થયેલા શિક્ષકોને લાંબા સમયથી અપેક્ષિત રહેલી જૂની પેન્શન યોજના (OPS)માં સમાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય અમલમાં મુકાતા શિક્ષણ વિભાગમાં આનંદની લાગણી પ્રસરી છે. રાજ્ય સરકારના આ ઠરાવને અનુસરી જિલ્લાકક્ષાએ લાભને પાત્ર શિક્ષકોની વિગતો સંકલિત કરી વડી કચેરીને મોકલવામાં આવી હતી. આ સમગ્ર પ્રક્રિયાના ભાગરૂપે અગાઉ ૧૫૬ શિક્ષકોને જૂની પેન્શન યોજનાનો લાભ અપાયો હતો, જ્યારે હવે વધુ ૧૩ અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોને સત્તાવાર આદેશ પ્રાપ્ત થતા તેમના વર્ષો જૂના પ્રશ્નનો અંત આવ્યો છે.

આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે વિશેષ ‘NPS થી OPS આદેશ વિતરણ કાર્યક્રમ’ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન જિલ્લા શિક્ષણાધિકારી સંજયભાઈ પરમારે સમગ્ર પ્રક્રિયાની વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, વર્ષો સુધી નવી પેન્શન યોજના હેઠળ રહેલા પરંતુ ૧-૪-૨૦૦૫ પહેલાં નિમણૂક પામેલા શિક્ષકોને ન્યાય મળે તે માટે જિલ્લા કચેરીએ દસ્તાવેજી ચકાસણી, સેવા નોંધ, નિમણૂક વિગતો અને વહીવટી પ્રક્રિયા પારદર્શક રીતે પૂર્ણ કરી રાજ્ય કચેરીમાં મજબૂત દરખાસ્ત મોકલી હતી. જેના પરિણામે તબક્કાવાર શિક્ષકોને જૂની પેન્શન યોજનામાં સામેલ કરવાનો માર્ગ મોકળો બન્યો છે.

અનુદાનિત શાળાના વધુ ૧૩ શિક્ષકો મળીને કુલ ૧૬૯ શિક્ષકોને જૂની પેન્શન યોજનામાં સમાવવામાં આવ્યા.

આદેશ મેળવનાર શિક્ષકોમાં ખાસ કરીને અનુદાનિત શાળાઓના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વર્ગના શિક્ષકોનો સમાવેશ થાય છે. લાંબા સમયથી OPS માટે પ્રતીક્ષા કરતા શિક્ષકોને આદેશ હસ્તગત થતાં તેમના ચહેરા પર રાહત અને સંતોષ સ્પષ્ટ જોવા મળ્યો હતો. જિલ્લા શિક્ષણાધિકારીએ તમામ શિક્ષકોને અભિનંદન પાઠવી હવે સત્વરે જનરલ પ્રોવિડન્ટ ફંડ (GPF) ખાતા ખોલાવી જરૂરી વહીવટી કાર્યવાહી પૂર્ણ કરવા સૂચના આપી હતી, જેથી પેન્શન સંબંધિત ભવિષ્યની પ્રક્રિયા સરળતાથી આગળ વધી શકે.

કાર્યક્રમ દરમિયાન શિક્ષકો તરફથી પણ જિલ્લા કચેરીના પ્રયાસોની પ્રશંસા કરવામાં આવી હતી. એમ.એસ.વી. હાઈસ્કૂલના મદદનીશ શિક્ષક રાજકુમારસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે યોગ્ય સમયમાં, કોઈપણ ગેરસમજ વિના અને સંપૂર્ણ પારદર્શિતા સાથે કામગીરી પૂર્ણ થતા શિક્ષકોમાં વિશ્વાસ વધ્યો છે. તેમણે શિક્ષણાધિકારી કચેરી તથા સંકળાયેલા અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ સમગ્ર OPS રૂપાંતરણ પ્રક્રિયામાં વર્ગ-૨ આચાર્ય તથા નોડલ અધિકારી બિપીનભાઈ વકીલનું માર્ગદર્શન મહત્વપૂર્ણ રહ્યું હતું. સાથે કચેરીના સિનિયર ક્લાર્ક બિપીનભાઈ નાગુ અને તેમની ટીમે દસ્તાવેજોની છટણી, રેકોર્ડ ચકાસણી, અનુમોદન ફાઇલિંગ અને આદેશ પ્રાપ્તિ સુધીની તમામ કામગીરી સુવ્યવસ્થિત રીતે સંભાળી હતી. કાર્યક્રમને સફળ બનાવવા કમલેશભાઈ અબોટી અને અબ્દુલભાઈ સુમરાએ પણ નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી.

ઉલ્લેખનીય છે કે જૂની પેન્શન યોજના શિક્ષકો માટે માત્ર આર્થિક સુરક્ષાનો પ્રશ્ન નથી, પરંતુ તેમની લાંબા ગાળાની સેવાઓનું સન્માન પણ છે. NPS માંથી OPS માં સમાવેશ થતાં નિવૃત્તિ બાદ સ્થિર પેન્શન, GPF જેવી સગવડો અને ભવિષ્યની નિશ્ચિતતા મળતા શિક્ષકોમાં નવી આશા જાગી છે. રાજ્ય સરકારના આ નિર્ણયથી હજુ બાકી રહેલા પાત્ર શિક્ષકોમાં પણ સકારાત્મક સંદેશ ગયો છે અને આગામી સમયમાં વધુ શિક્ષકોને આ લાભ મળવાની અપેક્ષા વ્યક્ત થઈ રહી છે.


અહેવાલ: રોહિત પઢિયાર | ભુજ - કચ્છ.

અમારી સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો.

ધ ન્યુઝ ટાઈમ્સ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે.

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ધ ન્યુઝ ટાઈમ્સ (The News Times) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ધ ન્યુઝ ટાઈમ્સ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android એપ. લેટેસ્ટ ન્યૂઝ થી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ પર અમારી સાથે જોડાઓ.

Post a Comment

0 Comments

close