કચ્છ યુનિવર્સિટીનો 12મો પદવીદાન સમારોહ જેની આતુરતા પૂર્વક રાહ જોવાતી હોય છે. આ વર્ષે જેની તારીખોમાં ઘણા ફેરફારો થયા હતા અને કાર્યક્રમ લંબાઇ ગયો હતો.આજે કચ્છ યુનિવર્સિટીનો 12 માં પદવીદાન સમારોહની તારીખો જાહેર કરવામાં આવી છે. આગામી તા. 21/11/2022 ના સોમવારે કચ્છ યુનિવર્સિટીનો 12 માં પદવીદાન સમારોહ યોજાશે.
વિધાનસભા ની ચુંટણી જાહેર થવાના કારણે આ વખતના 12મા પદવીદાન સમારોહમાં ચૂંટણી આચારસંહિતાના કારણે કોઇ રાજકીય નેતાઓ ઉપસ્થિત નહીં રહે.આ વર્ષે પદવીદાન સમારોહની ખાસ નોંધપાત્ર વાત યુનિવર્સિટીની નવતર પહેલની છે. કચ્છ યુનિવર્સિટી એ આ પદવીદાનમાં કચ્છી ભાષાનાં જતન અને વિકાસમાં યોગદાન આપનારા કર્મઠ લેખકો પદ્મશ્રી નારાયણ જોષી `કારાયલ' અને ઉમિયાશંકર અજાણીને ડોક્ટરેટની માનદ પદવી એનાયત કરશે.
કચ્છ યુનિવર્સિટી પ્રથમ વખત આ માનદ પીએચ.ડી.ની ડિગ્રી આપવાની પહેલ કરી રહી છે. અને આ રીતે સમાજ અને સાહિત્યમાં યોગદાન આપનારા મહાનુભાવોને બિરદાવવાનો એક સ્તુત્ય પ્રયાસ શરૂ થયો છે. જો કે, આ પદવીદાન સમારોહ તો તેના નિર્ધારિત કાર્યક્રમ મુજબ યોજાઇ જ રહ્યો છે. આ સંબંધે યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ડો. જયરાજસિંહ જાડેજાનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, આ વખતના પદવીદાન સમારોહમાં ના અધ્યક્ષસ્થાને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્ય અતિથિ તરીકે યુજીસીના સંયુક્ત સચિવ પ્રો. અજિત વર્મા ઉપસ્થિત રહેશે.
નવતર પહેલમાં યુનિવર્સિટી પદ્મશ્રી નારાયણ જોશી `કારાયલ' તેમજ ઈતિહાસકાર ઉમિયાશંકર અજાણીને ડોક્ટરેટની ડિગ્રીથી નવાજવામાં આવશે. આ સાથે દર વર્ષે પદવીદાન દ્વારા કચ્છમાં વિવિધ ક્ષેત્રે યોગદાન આપનારાઓને બહુમાનનો માર્ગ મોકળો થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત `કારાયલ'નું કચ્છી સાહિત્યમાં આગવું પ્રદાન છે. સૌથી મહત્વનું એ છે કે, તેમને કચ્છી પાઠાવલી આપી છે, અને બિન કચ્છી ભાષી લોકોને પણ કચ્છી ભાષા તરફ આકર્ષ્યા છે.
પદ્મશ્રી નારાયણ જોશીની કચ્છી પાઠાવલીને જીસીઈઆરટીઈએ તાલીમ માટે પણ માન્ય ઠરાવી છે. તેમને સાહિત્ય યોગદાન બદલ અનેક એવોર્ડ પણ મળેલા છે. બીજીબાજુ ઈતિહાસની વાત આવે ત્યારે મોટા નામ તરીકે ઉમિયાશંકર અજાણી કચ્છી ઊભરી આવે છે. ઉમિયાશંકર અજાણી 12 વર્ષની નાની ઉંમરથી લેખન ક્ષેત્રે આગળ વધતા તેમણે અનેક નવલકથાઓ, પુસ્તકો આપ્યાં છે, અજનીની ઘણીબધી સાહિત્યકૃતિ પુરસ્કૃત થઈ છે.
0 Comments