મુંદરાથી ઓડિશાના મુખ્યપ્રધાન મોહન ચરણનો દ્રઢ સંકલ્પ
ભારતના સર્વાંગી અને સંતુલિત આર્થિક વિકાસ માટે હવે માત્ર પશ્ચિમ દરિયાકિનારાની પ્રગતિ પૂરતી નથી, પરંતુ પૂર્વીય કિનારાનો ઝડપી વિકાસ પણ એટલો જ અનિવાર્ય બની ગયો છે. આ દિશામાં ઓડિશાના મુખ્યપ્રધાન શ્રી મોહન ચરણ માઝીએ મુંદરા પોર્ટની મુલાકાત દરમિયાન દેશના ઔદ્યોગિક અને સમુદ્રી વિકાસ માટે એક નવી દિશા દર્શાવતી ‘ટુ-કોસ્ટ સ્ટ્રેટેજી’ની વિચારધારા રજૂ કરી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ભારતને આગામી વૈશ્વિક આર્થિક શક્તિ બનાવવા માટે પશ્ચિમ અને પૂર્વ — બંને દરિયાકાંઠાનો સમાન રીતે વિકાસ કરવો સમયની માંગ છે.
મુંદરા ખાતે યોજાયેલા ઉદ્યોગલક્ષી સંવાદ દરમિયાન મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે પશ્ચિમ કિનારાએ અત્યાર સુધી દેશના વેપાર અને લોજિસ્ટિક્સ ક્ષેત્રને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે, પરંતુ હવે પૂર્વીય કિનારો ખાસ કરીને ઓડિશા આગામી ઔદ્યોગિક ક્રાંતિનું કેન્દ્ર બનવા માટે તૈયાર છે. તેમણે ઉદ્યોગકારોને અપીલ કરી હતી કે તેઓ પશ્ચિમ કિનારાની કાર્યક્ષમતા અને પૂર્વ કિનારાની અસીમ તકોને એકસાથે જોડીને નવા ઔદ્યોગિક યુગની શરૂઆત કરે.
આ પણ વાંચો....
ભુજની ચેરી એ કરી કમાલ
ભુજની ચેરી એ કરી કમાલ
મુખ્યપ્રધાને ભારપૂર્વક જણાવ્યું હતું કે, ઓડિશા ભારત માટે દક્ષિણ-પૂર્વ એશિયા અને ઈન્ડો-પેસિફિક દેશો સુધી પહોંચવાનું કુદરતી પ્રવેશદ્વાર છે. રાજ્ય પાસે મજબૂત પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વિશાળ ખનિજ સંપત્તિ, ઉદ્યોગમૈત્રી નીતિઓ અને ઝડપી મંજૂરી પ્રક્રિયા જેવી અનેક વિશેષતાઓ છે, જેના કારણે મોટા રોકાણકારો માટે ઓડિશા આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ઉદ્યોગોને ઝડપી અમલીકરણ અને સુવિધાસભર માળખું આપવા પ્રતિબદ્ધ છે.
મુંદરા ઇન્ડસ્ટ્રીયલ એરિયા અને વિશેષ આર્થિક ઝોનની મુલાકાત દરમિયાન પ્રતિનિધિમંડળે અદ્યતન કાર્ગો હેન્ડલિંગ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું. કન્ટેનર જેટી અને વીએલસીસી જેટી જેવી આધુનિક સુવિધાઓ સાથે સાથે સોલાર સેલ, વિન્ડ ટર્બાઇન અને કોપર ઉત્પાદન એકમોની મુલાકાતે મુખ્યપ્રધાને સંકલિત ઔદ્યોગિક વિકાસના મોડલને નજીકથી સમજવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર મુલાકાત દરમિયાન ઓડિશાના ઉદ્યોગ પ્રધાન શ્રી સંપદ ચંદ્ર સ્વૈન તેમજ અધિક મુખ્ય સચિવ શ્રી હેમંત શર્મા સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ઓડિશામાં વધી રહેલા રોકાણ વિશે માહિતી આપતા મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે રાજ્યમાં અત્યાર સુધી રૂ. 8.37 લાખ કરોડથી વધુના 433 રોકાણ પ્રસ્તાવો મંજૂર થઈ ચૂક્યા છે. તેમાંના અનેક પ્રોજેક્ટ્સ પર કામ શરૂ થઈ ગયું છે અને હજારો લોકોને રોજગારીની નવી તકો મળી રહી છે. ખાસ કરીને લોજિસ્ટિક્સ, કેમિકલ્સ, પેટ્રોકેમિકલ્સ અને પોર્ટ આધારિત ઉદ્યોગોમાં રાજ્ય ઝડપથી આગળ વધી રહ્યું છે.
ઉદ્યોગ પ્રધાન સંપદ ચંદ્ર સ્વૈને પણ જણાવ્યું હતું કે પારાદીપ પોર્ટના વિકાસે ઓડિશાની આર્થિક વ્યવસ્થામાં ઐતિહાસિક પરિવર્તન લાવ્યું છે. હવે ધમરા, પારાદીપ અને ગોપાલપુર જેવા બંદરો દ્વારા રાજ્ય સીધું વૈશ્વિક વેપાર સાથે જોડાઈ રહ્યું છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય રોકાણ અને નિકાસની નવી સંભાવનાઓ ઉભી થઈ રહી છે.
મુંદરાની આ મુલાકાતે એક મહત્વપૂર્ણ સંદેશ આપ્યો છે કે ભારત હવે દ્વિ-કિનારી વિકાસ મોડલ તરફ આગળ વધી રહ્યું છે. પશ્ચિમ કિનારાની સફળતાને આધારે પૂર્વીય કિનારાના વિકાસને વેગ આપવામાં આવશે તો ભારત વૈશ્વિક સપ્લાય ચેઇનમાં વધુ મજબૂત સ્થાન મેળવી શકશે. ઓડિશા પોતાને માત્ર એક રાજ્ય નહીં પરંતુ આગામી દાયકામાં દેશના ઔદ્યોગિક અને સમુદ્રી વિકાસના મુખ્ય એન્જિન તરીકે સ્થાપિત કરવા આતુર દેખાઈ રહ્યું છે.
______________________________
અહેવાલ: રોહિત પઢિયાર | ભુજ - કચ્છ.
અમારી સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો.
ધ ન્યુઝ ટાઈમ્સ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે.
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ધ ન્યુઝ ટાઈમ્સ (The News Times) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ધ ન્યુઝ ટાઈમ્સ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android એપ. લેટેસ્ટ ન્યૂઝ થી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ પર અમારી સાથે જોડાઓ.


0 Comments