પોતાની આગવી સંસ્કૃતિ ધરાવતી અતિ પ્રાચીનભૂમિ કચ્છના મુન્દ્રા તાલુકાના સાગરકાંઠે ભદ્રેશ્વર નામનું પ્રાચીન ગામ આવેલું છે. જેનો પ્રાચીનકાળમાં અતિ સમૃધ્ધ ભદ્રાવતી નગરી તરીકે શાસ્ત્રોમાં પણ ઉલ્લેખ થયેલો જોવા મળે છે. ભદ્રેશ્વર ગામમાં ભવ્ય ઇતિહાસ ધરાવતું દિવ્ય, મનોહર, પરમ પ્રભાવક વસઈ તીર્થ આવેલું છે. જેની સામાન્ય રૂપરેખા માઉન્ટ આબુના દેલવાડાના મંદિરો જેવી જોવા મળે છે.
વસઈ તીર્થની બીજી બાજુ તાજેતરમાં જ જીર્ણોધાર પામેલ ભવ્ય રોકડીયા હનુમાનજીનું મંદિર આવેલું છે રંગબેરંગી ફુવારાઓ અને બગીચા વચ્ચે વિશાળ પરિસરમાં આવેલ આ અર્વાચીન મંદિર રાત્રીના સંગીતમય આરતીના સમયે તો જાણે સુવર્ણ મંદિરનો આભાસ કરાવે છે. તેમાય શનિવારના દિવસે રામભકતોની ભીડ ઉમટી પડે છે ત્યારે મેળા જેવો માહોલ સર્જાય છે. જ્યારે દરિયાકિનારાની નજીક ચોખંડા મહાદેવ તરીકે ઓળખાતું નાળેશ્વર મહાદેવનું મંદિર અને પાંડવ કુંડ તરીકે ઓળખાતી મોટી ચોરસ વાવ જે પાંડવો દ્વારા પાંચ હજાર વર્ષ પહેલાં બાંધવામાં આવેલી હોવાનું મનાય છે. અહીં પાલી લિપિમાં લખાયેલા શિલાલેખો પણ સચવાયેલા જોવા મળે છે. આ ઉપરાંત શેઠ જગડુશાના મહેલના અવશેષ, બારમી સદીની દુદાની મસ્જિદ અને વાવ પણ જોવાલાયક સ્થળો છે.શાંતિમય વાતાવરણ વાળા આ માંગલિક પાવનકારી પવિત્ર અને દર્શનીય તીર્થસ્થાનની યાત્રા કરવી એ જીવનનો એક અણમોલ લ્હાવો છે.
તસવીર અને અહેવાલ: પ્રકાશ ઠક્કર, મુંદ્રા
0 Comments