કચ્છના જયંતિ ભાનુશાળીની હત્યા કેસમાં મહારાષ્ટ્રના ગેંગસ્ટરોની જામીન અરજી નામંજૂર

Live Viewer's is = People
જાન્યુ.-૧૯માં ભચાઉમાં ચાલુ ટ્રેને ગોળી ધરબીને ભાજપના ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની ફિલ્મી ઢબે હત્યા થયેલ હતી : રાજકીય હરીફને દૂર કરવા હત્યા થયાની સ્પે.પી.પી. ભારદ્વાજ-ગોકાણીની દલીલો સ્વીકારીને અદાલતે આરોપીઓની જામીન અરજી ફગાવી દીધી.





સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર દેશમાં ચકચાર જગાવનાર એવા અબડાસા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય જયંતીભાઇ ભાનુશાળીની તા. ૦૭-૦૧-ર૦૧૯ ના ભુજથી અમદાવાદ જતી ટ્રેનમાં શાર્પશુટરો દ્વારા ગોળી ધરબી દઇ હત્યા કરવાના ગુન્હામાં પકડાયેલ મહારાષ્ટ્રના ગેંગસ્ટરોએ જામીન પર મુકત થવા કરેલ અરજી ભચાઉ સેશન્સ કોર્ટે ફગાવી દીધેલ છે. 

આ કેસની હકીકત એવી છે કે, મરણજનાર અબડાસા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય જયંતીભાઇ ભાનુશાળી તા. ૦૭-૦૧-ર૦૧૯ ના રોજ સયાજીનગરી એકસપ્રેસ ટ્રેન નં. ૧૯૧૧૬માં ભુજથી અમદાવાદ ફર્સ્ટ એ.સી. કોચમાં કોચ નં.એચ/૧ ની 'જી' કેબીનમાં શીટ નં.૧૯ ઉપર મુસાફરી કરતા હતાં તે દરમ્યાન ટ્રેન સામખીયાળી સ્ટેશન નજીક પહોંચેલ ત્યારે ચાલુ ગાડીએ મહારાષ્ટ્રના શાર્પશુટરો શશીકાંત ઉર્ફે બીટીયાદાદા કાંબલે અને અશરફ અનવર શેખે પૂર્વાયોજીત કાવત્રા મુજબ જયંતી ભાનુશાળી ઉપર બંધુકથી ફાયરીંગ કરી હત્યા નિપજાવેલ હતી. આ બનાવ અનુસંધાને ગાંધીધામ રેલવે પોલીસ સ્ટેશનમાં છબીલદાસ નારણભાઇ પટેલ, મનીષાબેન ગોસ્વામી, જયંતીભાઇ જેઠાલાલ ઠક્કર, સિદ્ધાર્થ છબીલદાસ પટેલ, સુરજીત ભાઉ વિગેરે વિરૂદ્ધ ઇ.પી.કો. કલમ-૩૦ર, ૧ર૦ (બી), ૩૪ તથા આર્મ્સ એકટની કલમ-રપ, ર૭ વિગેરે મુજબની એફ.આઇ.આર. નોંધાયેલ હતી. 

ત્યારબાદ કેસની ગંભીરતા જોય સરકાર દ્વારા ખાસ તપાસ દળ (સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ-SIT) ની રચના કરવામાં આવેલ અને SIT દ્વારા તપાસ શરૂ કરાતા ગુન્હામાં કલમ-૩૯૭, ર૦૧ તેમજ રેલ્વે એકટની કલમોનો ઉમેરો કરવામાં આવેલ અને તપાસ દરમ્યાન સમગ્ર કાવતરૂ ખુલ્લુ પાડી SIT દ્વારા  (૧) રાહુલ જયંતીભાઇ પટેલ રહે. કચ્છ (ર) નીતિન વસંતભાઇ પટેલ રહે. કચ્છ (૩) શશીકાંત ઉર્ફે બીટીયાદાદા કાંબલે રહે. પુના-મહારાષ્ટ્ર (૪) અશરફ અનવર યુનીશ શેખ રહે. પુના-મહારાષ્ટ્ર (પ) વિશાલ નાગનાથ યેલપ્પા રહે. પુના-મહારાષ્ટ્ર (૬) સિદ્ધાર્થ છબીલદાસ પટેલ રહે. અમદાવાદ (૭) છબીલદાસ નારણભાઇ પટેલ રહે. અમદાવાદ (૮) જયંતીલાલ જેઠાલાલ ઠક્કર રહે. ભુજ (૯) રાજુ ઉર્ફે સીતારામ નારાયણ ધોત્રે રહે. પુના-મહારાષ્ટ્ર (૧૦) મનીષાબેન ગજ્જુગીરી ગોસ્વામી રહે. વાપી (૧૧) સુજીત દેવસીંગ પરદેશી રહે. પુના-મહારાષ્ટ્ર  (૧ર) નિખીલ બાલુભાઇ થોરાટ રહે. પુના-મહારાષ્ટ્ર એમ કુલ ૧ર લોકોને ગુન્હાના કામે અટક કરવામાં આવેલ હતી. 
તમામ આરોપીઓ પૈકી ખુની ખેલના કાવત્રાને અંજામ આપવા માટે ગોતાયેલ શાર્પશુટરોના લીડર અને મહારાષ્ટ્રમાં પણ અન્ય ગંભીર ગુન્હાઓમાં સામેલ એવા સુજીત પરદેશી તથા નિખીલ થોરાટની ઉતરપ્રદેશથી ધરપકડ કરી જેલ હવાલે કરતા જામીન પર છુટવા માટે ભચાઉની સેશન્સ અદાલતમાં જામીન અરજી દાખલ કરેલ હતી. 

બન્ને આરોપીઓએ જામીન અરજી કરી મુખ્યત્વે એવી રજુઆતો કરેલ હતી કે તેઓની સામે કોઇ સીધો પુરાવો ઉપલબ્ધ ન હોવા છતાં ખોટી રીતે સંડોવી દીધેલ છે. બનાવ સમયે આરોપી પોતે ગુજરાતમાં ન હતા અને આરોપીએ કોઇ હથીયાર ધારણ કરેલ હોય તેવું કોઇ ડાયરેકટ ઇન્વોલવમેન્ટ નથી તેમજ આરોપી પાસેથી કોઇ રીકવરી કે ડીસ્કવરી થયેલ નથી અને ગુન્હાની તપાસ પૂર્ણ થઇ ગયેલ હોય જેમાં ૩૦૦ થી વધુ સાક્ષીઓને પોલીસે ચાર્જશીટમાં દર્શાવેલ હોય તેથી કેસ ચાલતા લાંબો સમય જાય તેમ હોય આરોપીઓએ જામીન પર મુકત થવા રજૂઆતો કરેલ હતી. 

જયારે સરકાર તરફે સ્પે. પબ્લીક પ્રોસીકયુટર દ્વારા એવી રજુઆતો કરવામાં આવેલ કે આરોપી ખૂબ જ ચાલાક છે અને પોતે તમામ ગોઠવણ કરી શાર્પશુટરોને ગુન્હાને અંજામ કઇ રીતે આપવો તે સમજાવી માત્ર પોતાની એલીબી (એટલે કે અલગ સ્થળે હાજરી) ઉભી કરવા માટે પૂર્વાયોજીત કાવત્રાના ભાગરૂપે રાજય બહાર ચાલ્યા ગયેલ આ અગાઉ પણ સુજીત અને નિખીલે સહઆરોપી મનીષા ગોસ્વામીની સાથે મળી ગુજરનારને ઝારખંડ રાજયમાં મારી નાંખવા માટે પ્લાન ગોઠવેલ હતો, પરંતુ ગુજરનારને બદલે તેનો ભાણેજ ઝારખંડ જતાં સમગ્ર પ્લાન નિષ્ફળ ગયેલ હતો. 

ત્યારબાદ ફરીવખત છબીલ પટેલના કહેવા મુજબ મરણજનારની રાજકીય કારકીર્દી છીન્નભીન્ન કરવા ખોટી ફરીયાદો કરી કરાવી કલંકીત કરવાના પ્રયાસો કરેલ, પરંતુ તેમાં સંપૂર્ણપણે સફળતા ન મળતા કાયમી ધોરણે ગુજરનારનો કાંટો કાઢી નાંખવા માટે સુજીતે પોતાના શુર્ટરોને મહારાષ્ટ્રમાંથી મોકલી છબીલ પટેલ સાથે સોદાબાજી કરી તમામ પગલાઓ આયોજનબદ્ધ ભરી જયંતીભાઇ ભાનુશાળીનું કાસળ કાઢી નાખવામાં આવેલું છે. SIT  દ્વારા ચીવટપૂર્વક તપાસ કરી ઓડીયો-વીડીયો, મોબાઇલ લોકેશન સહિતના સાયન્ટીફીક પુરાવાઓ એકત્ર કરવામાં આવેલ છે. તેમજ  SIT દ્વારાતપાસ ચાલુ રાખી ચાર્જશીટ રજુ કરાયેલ છે. 

બન્ને પક્ષકારોની દલીલોના અંતે ભચાઉના અધિક સેશન્સ જજ શ્રી એમ.એફ. ખત્રી એવા તારણ પર આવેલ કે, સમગ્ર કેસ કાગળો ધ્યાને લેતા હાલના આરોપી છબીલ પટેલ દ્વારા પોતાના રાજકીય હરીફને દૂર કરવા, હાલના બન્ને આરોપીઓની મદદથી આયોજનબદ્ધ રીતે આખરી કાવત્રાને અંજામ આપવામાં આવેલ છે. વધુમાં સંબંધીત આરોપીઓનો પ્રત્યક્ષ-પરોક્ષ રોલ ઉજાગર કરવામાં આવેલ હોવાનું જણાય છે. તેમજ તપાસના સાધનીક કાગળો તેમજ કબ્જે કરાયેલ દ્રષ્ય-શ્રાવ્ય પુરાવો, સમગ્રપણે જોતા, આરોપી સુજીત ભાઉ તથા નિખીલ થોરાટ સામે ખૂબ જ ગંભીર પ્રકારનો પ્રથમ દર્શનીય અને વેલ ફાઉન્ડેડ કેસ જણાય છે તેવું ઠરાવી ગુન્હાની ગંભીરતા ધ્યાને લઇ સ્પે. પબ્લીક પ્રોસીકયુટર દ્વારા કરવામાં આવેલ દલીલો માન્ય રાખી આરોપી સુજીત દેવસીંગ પરદેશી તથા નિખીલ થોરાટની જામીન અરજી નામંજૂર કરેલ હતી.

આ કામમાં સરકાર તરફે સ્પે. પબ્લીક પ્રોસીકયુટર તરીકે સીનીયર ધારાશાસ્ત્રી અભયભાઇ ભારદ્વાજ તથા તુષાર ગોકાણી એ રજૂઆતો કરેલ હતી.
ગની કુંભાર, ભચાઊ

Post a Comment

0 Comments

close