ન્યુ જર્સીમાં સ્વામિનારાયણ ગાદી સંસ્થાનનો ભવ્ય મહોત્સવ; આચાર્ય શ્રી જીતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી ‘વિશ્વ સત્સંગ સમ્રાટ’ની પદવીથી સન્માનિત કરવામાં આવ્યા
ન્યુ જર્સી ખાતે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા આયોજિત ‘શ્રી ઘનશ્યામ મહારાજ રજત પ્રતિષ્ઠા મહોત્સવ’ ભક્તિ, આધ્યાત્મિકતા અને સંત સમાગમના અદભુત સંમેલન તરીકે ઉજવાયો હતો. મહોત્સવ દરમિયાન યોજાયેલા સંત સંમેલનમાં પરમ પૂજ્ય જ્ઞાનમહોદધિ આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજને પ્રતિષ્ઠિત સંતો અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં ‘વિશ્વ સત્સંગ સમ્રાટ’ની પદવીથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ વિશેષ પ્રસંગે ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ અને જગદ્દગુરુ અવિચળ દેવાચાર્યજી મહારાજ, રાજસ્થાનના મહામંડલેશ્વર પ્રતાપુરીજી મહારાજ, હરિદ્વારના યોગાચાર્ય શ્રી અખિલેશદાસજી મહારાજ, મહામંડલેશ્વર શ્રી હરીશચંદ્રપુરીજી મહારાજ સહિત વિવિધ સંતો તથા બી.એ.પી.એસ. સંસ્થાના પૂજનીય સંતોની ઉપસ્થિતિએ કાર્યક્રમની આધ્યાત્મિક ગરિમામાં વધારો કર્યો હતો. સંત સમાગમ દરમિયાન આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજીના સત્સંગ, સંસ્કાર અને માનવસેવાના ક્ષેત્રે યોગદાનને બિરદાવી આ વિશેષ સન્માન અર્પણ કરવામાં આવ્યું હતું.
રજત પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત દિવસો દરમિયાન અનેક ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ શિબિરો, ભવ્ય અન્નકૂટ, આરતી, શાકોત્સવ, હિંડોળા ઉત્સવ, પાટોત્સવ વિધિ, ભક્તિ સંધ્યા, એકતાયાત્રા તથા ભગવાનને અભિષેક જેવા કાર્યક્રમોમાં ભક્તોએ શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો હતો. ભક્તિ નૃત્યો અને સાંસ્કૃતિક પ્રસ્તુતિઓએ મહોત્સવને વધુ આકર્ષક બનાવ્યો હતો.
આ પ્રસંગે આશીર્વચન આપતા આચાર્ય સ્વામીશ્રી મહારાજે વિદેશમાં વસતા ભારતીયોને સ્થાનિક કાયદા અને નિયમોનું પાલન કરવાની સાથે મનુષ્યસેવા, સત્સંગ અને સારા સંસ્કારોને જીવનનું અભિન્ન અંગ બનાવવાનો સંદેશ આપ્યો હતો.
આ પણ વાંચો
માલદે સોઢા સમાજ દ્વારા ભુજમાં.....
માલદે સોઢા સમાજ દ્વારા ભુજમાં.....
મહોત્સવમાં ભારત ઉપરાંત અમેરિકા, ઓસ્ટ્રેલિયા, નાઈરોબી, દુબઈ, લંડન અને બોલ્ટન સહિત વિવિધ દેશોમાંથી હરિભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા. શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ, ન્યુ જર્સીના સભ્યો, હરિભક્તો તેમજ વિવિધ દેશોમાંથી આવેલા સેવાભાવી ભક્તોના સહયોગથી સમગ્ર મહોત્સવ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. મહંત સદ્ગુરુ શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ મહોત્સવે વૈશ્વિક સ્તરે સ્વામિનારાયણ સંપ્રદાયની આધ્યાત્મિક એકતા અને સેવાભાવની ઝલક રજૂ કરી હતી.
______________________________




0 Comments