ગીરમાં સિંહોની સલામતી માટે મોટું પગલું: 5 નવા અંડરપાસ અને 115 કિમી વિસ્તારમાં AI નજરદારીથી અકસ્માતો અટકાવાશે

Live Viewer's is = People


The News Times

ગીર જંગલમાં વન્યજીવો, ખાસકરીને સિંહોની મૂવમેન્ટ માટે હાલ બે અંડરપાસ કાર્યરત છે. 

ગીર જંગલમાં વસતા એશિયાટિક સિંહોની સુરક્ષા માટે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ અને ટેકનોલોજી આધારિત પહેલ હાથ ધરી છે. વન્યજીવોના સંરક્ષણને વધુ મજબૂત બનાવવા માટે ગીર વિસ્તારમાં હાલ કાર્યરત બે અંડરપાસ ઉપરાંત વધુ પાંચ નવા અંડરપાસના બાંધકામને મંજૂરી આપવામાં આવી છે. આ અંડરપાસ સિંહો સહિત અન્ય વન્યજીવોને રેલવે ટ્રેક સુરક્ષિત રીતે પાર કરવા મદદરૂપ બનશે અને ટ્રેન અકસ્માતોના જોખમને ઘટાડશે.

The News Times


સિંહોની મૂવમેન્ટ પર વોચ રાખવા 115 કિમી વિસ્તારમાં AI-આધારિત ઇન્ટ્રુઝન ડિટેક્શન સિસ્ટમ લાગુ કરાશે

આ સાથે જ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને સિંહ વન્યજીવ અભયારણ્યમાંથી પસાર થતા પશ્ચિમ રેલ્વેના ભાવનગર ડિવિઝન હેઠળના દામનગર–પીપાવાવ રેલ સેક્શનના લગભગ 115 કિમી વિસ્તારમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ઇન્ટ્રુઝન ડિટેક્શન સિસ્ટમ (IDS) લાગુ કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ આધુનિક સિસ્ટમ રેલવે ટ્રેકની આસપાસ સિંહોની હલચલ શોધીને તરત જ લોકો પાઇલટ્સ, સ્ટેશન માસ્ટર્સ અને કંટ્રોલ રૂમને એલર્ટ મોકલશે, જેથી સમયસર ટ્રેનોની ગતિ ઘટાડીને અથવા જરૂરી પગલાં લઈ અકસ્માતોની અસરકારક રીતે રોકથામ કરી શકાય.


રાજ્યસભાના સાંસદ શ્રી પરિમલ નથવાણીએ ઉઠાવેલા પ્રશ્નના જવાબમાં રેલવે, માહિતી અને પ્રસારણ તેમજ ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે 06 ફેબ્રુઆરી, 2026ના રોજ આ વિગતો જાહેર કરી હતી. મંત્રીના જણાવ્યા અનુસાર, ગીર જંગલમાંથી પસાર થતું હાલનું રેલવે નેટવર્ક મીટરગેજ સેક્શનનું છે અને જ્યાં સિંહોની અવરજવર વધુ જોવા મળે છે તેવા ઓળખાયેલા કોરિડોરમાં ટ્રેનોને નિયંત્રિત અને ધીમી ગતિએ ચલાવવામાં આવે છે.


વન્યજીવ સંરક્ષણને વધુ અસરકારક બનાવવા માટે રેલવે અને વન વિભાગ વચ્ચે સતત સંકલન રહે તે હેતુથી સર્કલ લેવલ, ડિવિઝનલ લેવલ અને રેન્જ લેવલની સમિતિઓ રચવામાં આવી છે. આ સમિતિઓની બેઠકો અનુક્રમે ત્રિમાસિક, દ્વિમાસિક અને માસિક ધોરણે યોજાય છે, જેમાં ગીર વિસ્તારમાં સિંહોની સલામતી, ટ્રેન ઓપરેશન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરીને તેનો ઉકેલ લાવવામાં આવે છે.


શ્રી નથવાણીએ ગીર વિસ્તારમાં એશિયાટિક સિંહોના રક્ષણ માટે એલિવેટેડ રેલ કોરિડોર બનાવવાની સંભાવના અંગે પણ સરકારને પ્રશ્ન કર્યો હતો. સાથે જ તેમણે શક્યતાદર્શી અભ્યાસ, ફંડિંગ અને પ્રોજેક્ટની પૂર્ણાહૂતિની સમયરેખા સહિતની માહિતી માગી હતી. સરકાર તરફથી સ્પષ્ટ કરાયું કે સિંહોની સલામતી સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને તે માટે વિવિધ ટેકનિકલ તથા વ્યવસ્થાત્મક પગલાં સતત અમલમાં મૂકવામાં આવી રહ્યા છે.


નવી અંડરપાસ સુવિધા અને AI આધારિત IDS સિસ્ટમથી ગીર જંગલમાં સિંહો અને રેલવે બંને માટે સલામત સહઅસ્તિત્વનું મોડેલ ઉભું થવાની અપેક્ષા છે, જે ભવિષ્યમાં દેશના અન્ય વન્યજીવ કોરિડોર માટે પણ માર્ગદર્શક બની શકે છે.


અહેવાલ: રોહિત પઢિયાર, ભુજ

મો.966 492 8653

અમારી સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો.

ધ ન્યુઝ ટાઈમ્સ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે.

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ધ ન્યુઝ ટાઈમ્સ (The News Times) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ધ ન્યુઝ ટાઈમ્સ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android એપ. લેટેસ્ટ ન્યૂઝ થી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ પર અમારી સાથે જોડાઓ.


Post a Comment

0 Comments

close